Monday, November 11, 2013

પગ મને ધોવા દ્યો, રઘુરાયજી!



'દુલા ભાયા કાગ' ગુજરાતી અને ચારણી સાહિત્યમાં કાગ બાપુ તરીકે ઓળખાય છે. ગુજરાતના મહુવા પાસેના મજાદર ગામમાં ખેતી અને ગોપાલન કરતા ચારણ ભાયા કાગને ત્યાં તેમનો જન્મ. અભ્યાસ ફક્ત પાંચ ધોરણ સુધી પણ ચારણી સાહિત્યના પદ, ભજન, પ્રાર્થના, દુહા, મુકતક, સોરઠા જેવા અનેક સ્વરૂપે તેમની કૃતિઓ સચવાયેલી છેઆપણે આપણા ઘરમાં અને સમાજમાં વડીલોને ઊંચો દરજ્જો, માન-સમ્માન આપીએ છીએ તે પ્રમાણે ભારત સરકારે પણ ગુજરાતના વડીલને પદ્મશ્રીના પુરસ્કારથી સન ૧૯૬૨માં નવાજ્યા. તે પછી સન ૨૦૦૪માં કાગ બાપુની ૧૦૨મી જન્મતિથિ વખતે ભારત સરકારે ટપાલખાતા વતી તેમના નામ અને ચિત્રવાળી રૂપિયા પાંચની ટિકિટ બહાર પાડીજેમ કબીરજીના દુહા 'કબીરવાણી' તરીકે ઓળખાય છે તેમ દુલા કાગના દુહા 'કાગ વાણી' તરીકે પ્રચલિત છે. તેમની 'કાગ વાણી' સિવાય વિનોબાબાવની, ચંદ્રબાવની, સોરઠબાવની, ગુરુમહિમા અને શક્તિચાલીસા નામની કૃતિઓ પણ ઘણી પ્રખ્યાત છે, માટે તો કોઇ કવિએ લખ્યું છેઃ
                    કાગ કાગમાં ફેર છે, બેઉ કરે કાગારોળ,
                    કાળો કાગ માથું પકવે, દુલા ઉપર ઓળઘોળ
          આપણા પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત કે શિવપુરાણ દરેકમાં હજારો પ્રસંગો બન્યા છે અને લગભગ દરેક પ્રસંગ માટે આપણા કવિઓએ ગીતો, ભજનો, કાવ્યો લખેલાં છે. 'કેવટ' નામના ખારવાનો પ્રસંગ આજે લોકજીભે ચઢેલો છે અને તે પ્રસંગને આલેખતું દુલા ભાયા કાગનું 'પગ મને ધોવા દ્યો' પણ એટલું પ્રચલિત છે. રાજા દશરથના (ઓરિજીનલી કૈકેયીના) વચન પાળવા ખાતર બે પુત્રો રામ-લક્ષ્મણ અને પુત્રવધુ સીતા ૧૪ વર્ષના વનવાસ માટે જંગલ તરફ પ્રયાણ કરે છે. વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણ ગંગા નદીને કાંઠે આવે છે. કાંઠે એક નૌકા હાંકનાર 'કેવટ' નામના ભીલ સાથે બનેલો પ્રસંગઃ

પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને વહેમ પડ્યો મનમાંય
તમારા પગ મને ધોવા દ્યો રઘુરાયજી...

રામ લખમણ જાનકી તીર ગંગાને જાય જી
નાવ માગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

રજ તમારી કામણગારી, મારી નાવ નારી થઈ જાય જી
તો અમારી રંક જનની આજીવિકા ટળી જાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

જોઇ ચતુરાઇ ભીલજનની, જાનકી મુસકાયજી
અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી
  
દિન દયાળુ જગતમાં ગરજ કેવી ગણાયજી
આપ જેવાને ઊભા રાખી, પગ પખાળી જાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

નાવડીમાં બાવડી ઝાલી, રામ તણી  ભીલરાયજી
પાર ઉતરી (રામે) પૂછિયું કે તમે શું લેશો ઉતરાઈ ?
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

નાયીની કદી નાયી લ્યે નહિ, આપણે ધંધાભાઈજી
કાગલ્યે નહિ ખારવાની કદી, ખારવો ઉતરાઈ
પગ મને ધોવા દ્યો રઘુરાયજી
   
શબ્દ, સૂર અને સ્વરઃ
દુલા ભાયાકાગ’       
(ઓરિજીનલ ગ્રામોફોન રેકોર્ડ સાંભળવા http://www.mavjibhai.com/bhajan/pagmane.htm પર ક્લિક કરો)   
કેવટ શ્રીરામના પગ ધોવે છે...
પ્રસ્તુત પ્રસંગગીતમાં નાવિકની ભક્તિ, બુદ્ધિ, સમજણ અને ચતુરાઇને સમજવા જેવી છે. સાક્ષાત ભગવાનના પગ ધોવાનો લ્હાવો લેવા કેવા-કેવા બહાના બનાવે છે! ભગવાન રાઘવેન્દ્ર જ્યારે આવે છે ત્યારે કેવટ કંઇ બોલે પહેલા ભગવાનને એની પાસે માંગણી કરવી પડે છે. સમગ્ર વિશ્વ જેની પાસે હાથ ફેલાવીને જીવનભર માંગતું હોય ઇશ્વર આજે એક ભીલ નાવિકની પાસે માંગતા કહે છે કે અમને તારી નૌકામાં બેસાડીને સામે કિનારે ઉતાર. વામન અવતાર વખતે જે ત્રણ ડગલામાં સમગ્ર વિશ્વને માપી લેતો હોય એક નદી ઓળંગવા માટે ભીલને વિનંતી કરે છે. આમાં આપણને એમ થાય કે જગતના નાથને માંગવું કેમ પડે? એના જવાબમાં મોરારિબાપુએ રામ-કથામાં કહેલું કે ભગવાને ભીલની પાસે માંગણી કરી એનું એક કારણ કે નદી બીજી કોઇ નહીં પણ ગંગા નદી હતી. ગંગા ફક્ત જળપ્રવાહ નથી, જળપ્રપાત નથી, બાળકાંડમાં વ્યાખ્યા આપી છે રીતે ભગવાન શિવની જટામાં જેનું ઉગમસ્થાન છે એવી ભક્તિ છે. અને ભક્તિના કિનારે તો ઇશ્વરને પણ નાનું થવું પડે છે.

રામ, લક્ષ્મણ અને સીતાજીએ જ્યારે નાવની માંગણી કરી ત્યારે ભીલ કેવટ તેમનો આદર તો કરે  છે, સાથે શક પણ કરે છે. છતાં ગમ ખાઇને અચકાતાં અચકાતાં પ્રભુને કહે છે કે "હે રઘુકુળના રાજા, હે ઇશ્વર, હે પ્રભુ - મને તમારા પગ ધોવા દ્યો. અમે તમારા ચરણનો અભિષેક કરવા દ્યો". કેવટને ભગવાન રામ પગ ધોવા આપે તે માટે કેવટે કયું બહાનું કર્યું? બહાનાના બહાને કાગ બાપુએ રામાયણનો બીજો એક પ્રસંગ પણ આલેખી લીધો છે. શ્રી રામ એક વાર અરણ્યમાંથી પસાર થતા હોય ત્યારે એક પથ્થરને તેમના પગની રજ ઊડે છે અને શીલાનું 'અહલ્યાબાઇ' નામની સ્ત્રીમાં રૂપાંતર થાય છે. પ્રસંગને પોતાનું બહાનું બતાવી કેવટ ભગવાન રામને કહે છે કે 'હે પ્રભુ, તમારા પગની રજ તો જાદુઇ છે, કામણગારી છે. તેના સ્પર્શ માત્રથી જો એક પથ્થર સ્ત્રી બની જતી હોય તો તો એક સામાન્ય લાકડાની નાવ છે. જો તમારા પગ હું ધોવું અને તમારા પગમાં ચોંટેલી રજ મારી નૌકાને સ્પર્શે તો તે પણ સ્ત્રી બની જાય, અને જો એવું બને તો મારા જેવા ગરીબજનની એકની એક આજીવિકા ટળી જાય. મારી તો એક રોજી-રોટી છે સિવાય મારા પરિવારનું શું થશે?'

કેવટની વાત જ્યારે શ્રીરામ સાંભળે છે ત્યારે મા જાનકી મનમાં ને મનમાં મુસ્કાય છે. ભણેલા લોકોને પણ આવા નાના પ્રસંગો યાદ નથી રહેતા અને ગરીબ ભીલની ચતુરાઇ તો જુઓ, જે અભણ છે છતાં ભગવાન શ્રીરામને બહાના કરીને બતાવે છે. સીતાજી એમ પણ વિચારે છે કે 'હે દીનદયાળુ સ્વામી, જગતમાં તમારી કેટલી ગરજ છે જુઓ. અને જરૂરતને કારણે આપ જેવા દુનિયાના સર્જનહારને એક રાંક ભીલ ઊભો રાખીને પગ પખાળી જાય છે.' છેવટે શ્રીરામ કેવટને પગ ધોવા દે છે અને નાવડીમાં ગંગાના એક તીરથી બીજા તીરે લઇ જાય છે. દરમિયાન ગંગાના પ્રવાહ વચ્ચે કેવટ શ્રીરાઘવેન્દ્રનું બાવડું ઝાલી રાખે છે, કેવું અદભૂત દ્રશ્ય! દુનિયાને સહારો આપનારો આજે એક કાળા માથાના માનવીના સહારે નદી પાર કરે છે.

ગંગા નદીના પેલે પાર પહોંચીને ભગવાન રામચંદ્ર નાવિકને પૂછે છે કે તમે શું ઊતરાઇ લેશો? પેલા પારથી પાર આવવા માટે અમે તમારી નૌકા વાપરી એનું ભાડું શું લેશો? ભગવાનનો પ્રશ્ન સાંભળીને કેવટ કહે છે, "આપણે તો ધંધાભાઇ છીએ. મેં તો તમને નાનકડી નદી પાર કરાવી છે પણ તમે તો સમગ્ર દુનિયાના લોકોને સાત જનમનો ફેરો પાર કરાવી આપો છોદુનિયાના લોકો માટે તો તમે પણ નાવિક છો ને! જો આપણે બંને એક ધંધો કરતા હોય તો મારાથી તમારી પાસે ઊતરાઇ કઇ રીતે લેવાય?" રામચરિતમાનસનો કેવટનો પ્રસંગ ભક્તિપથના પથિકોને એવું કહી જાય છે કે એક અછૂત, દીન, ગરીબ વ્યક્તિ પણ પ્રભુની કૃપાને પાત્ર બની શકે છે. સાધારણમાં સાધારણ વ્યક્તિ પણ પોતાની ચતુરાઇ અને ભક્તિ વડે ભગવાનને રીઝવી શકે છે. પ્રસંગ ભલે ત્રેતાયુગનો હોય પણ આજેય પ્રેરણાદાયક છે. કેવટ આપણને સંદેશ આપે છે કે પ્રભુની પ્રાપ્તિમાં જાત-પાત, ધન, વૈભવ, કુળ, ગોત્ર, જપ, તપ, વ્રત, સંયમ, નિયમ બધું સાધન બની શકે પણ સાધ્ય બની શકે. એટલે કહ્યું છે કે ભગવાન માટે
                    નિર્મલ મન જન સો મોહિ પાવા,
                    મોહિ કપટ છલ છિદ્ર ભાવા!
આમ કેવટમાં ભલે બીજા બધા ગુણ હોય પણ એના હ્રદયની નિર્મળતાને કારણે પ્રભુ રામ એની શરત માનવા વિવશ થઇ ગયા. આવા ભાવવાળુ 'ભાલણ'નું બીજું એક ગીત નીચે મુજબ છેઃ


નાવિક વળતો બોલિયો, સાંભળો માહરા સ્વામ;

સાથ સહુ કો નાવે બેસો, નહિં બેસાડું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણુની અપાર;

અહલ્યા ત્યાં સ્ત્રી થઈ સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક;

સ્ત્રી થાતાં વાર લાગે, કાષ્ટ પાષાણ એક.

આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર;

બે મળીને શું જમે? શી કરું ત્યાં પેર?

હસી વિશ્વામિત્ર બોલીયા, ચરણરેણે સ્ત્રી થાય ;

તે માટે ગંગાજળ લેઈને, પખાળો હરિપાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;

નાવિકે ગંગાજળ લેઈને, પખાળ્યા ત્યાં ચર્ણ.