Showing posts with label Vishnu. Show all posts
Showing posts with label Vishnu. Show all posts

Tuesday, October 15, 2013

સબસે બડા રૂપૈયા...




જીવન લીંબુપાણી જેવું ખાટું-મીઠું અને સાત્વિક છે, પણ એમાં સોડા ભળે તો? એમ બધું હશે પણ પૈસા નહીં હોય તો બધું નીરસ લાગે છે. પૈસો લીંબુપાણીમાં ભળતી સોડા જેવું તત્વ છે! એક કહેવત છે કે પૈસો હાથનો મેલ છે, છતાં ઘણા લોકો હાથનો મેલ સાચવવા તિજોરી-કબાટ વસાવે છે. ઘણાં માટે 'પૈસો બધું છે' અને ઘણાં માટે 'પૈસો કાંઈ નથી' - સબ્જેક્ટિવ ટોપિક છે!
          ગુજરાતી અને મારવાડી વેપારીઓને પૈસાના મૂલ્ય અને કિંમતની જેટલી પાકી જાણ હોય છે એટલી તો બીજા ઓછા લોકોને જાણ હશે. થોડા સમય પહેલાં છાપામાં એક કિસ્સો વાંચ્યો. જોધપુરના એક નાનકડા ગામડાનો એક મારવાડી શેઠ ફક્ત "એક પૈસામાટે અમદાવાદના એક મારવાડી વેપારી સામે ૨૯ વર્ષ સુધી કૉર્ટમાં લડ્યો. કેસની વિગત એવી કે જોધપુરના શેઠ દેવરાજે અમદાવાદના વેપારી ધનરાજને સન ૧૯૭૬ની સાલમાં રૂ. ૫૨,૯૩૪/- અને પૈસાની રકમ ઉછીની આપી હતી. ધનરાજે હપ્તે હપ્તે પૈકી રૂ. ૫૨,૯૩૪/- ચૂકવી દીધા, અને પૈસો ઓછો ચૂક્વ્યો. લેણદારે પૈસા માટે વકીલ મારફતે નોટીસ ફટકારી અને સાથે એક પૈસાનાં ૨૯ વર્ષના રૂ. ૧૪,૯૩૪/- વ્યાજની રકમ તેમજ નોટીસ ખર્ચના રૂ.૧૧/- ની માંગણી કરી. રાજસ્થાનની હાઈકૉર્ટે ચુકાદો આપ્યો કે ફરિયાદી ફક્ત એક પૈસાનો હક્ક્દાર છે, તેને એક પૈસો ચૂકવવામાં આવે. દેવરાજ કહે છે કે એક પૈસો તો તેને ૨૯ વર્ષ પહેલાં મળવો જોઈતો હતો, સામેવાળાએ તે આટલાં વર્ષ વાપર્યો એના પર તે કેટલું બધું ધન કમાયો હશે! આમ કેસ ડિસમિસ થતાં દેવરાજને અત્યારે તો કુલ રૂ. ૧૪,૯૪૫/- ની ખોટ ગઈ - પ્રસંગ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે 'પૈસો નાનો નથી હોતો'.
માણસ પાસે પૈસો હોય એટલે નાણાં વગરનો નાથિયો અને માણસનાં ખિસ્સામાં રૂપિયાનો રણકાર સંભળાય તો નાથાલાલની સેવામાં ચાર લોકો ખડે પગે હાજર થઈ જાય - 'શેઠના સાળા સો થાય'. માણસ પૈસાવાળો થાય ત્યારે એને ગાડી ચલાલવા ડ્રાઈવર જોઈએ, હાથ-પગ દબાવવા નોકર જોઈએ, બગીચા માટે માળી જોઈએ, ઘરકામ માટે ચાકર જોઈએઆપણને એમ થાય કે માણસ રૂપિયામાં રમે છે પણ વાસ્તવિકતા છે કે રૂપિયો માણસને રમાડે છે. નાણાં ભારે તાકાતવર હોય છે. મસમોટા પહેલવાનોને ભરબજારે ધોઈ નાખે. નાણાલાલના માન-પાન ખૂબ છે. નાણાનું જોર જબરૂં છે, તે ભલભલાને હસાવી-રડાવી શકે છે એટલે કવિ 'રામે' લખ્યું છે -
      પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે....
      પ્યાર કરાવે, યાર કરાવે, પૈસો વેર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે…
      પૈસો તારું-મારું કરાવે, પૈસો લ્હેર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે....
ધનતેરસ અને દિવાળીએ થતું લક્ષ્મીપૂજન તો પ્રતીકાત્મક છે, બાકી લક્ષ્મી તો દરરોજ પૂજનીય છે. પૈસો છઠ્ઠી ઈન્દ્રિય છે, જેના વગર બાકીની પાંચ ઈન્દ્રિયનો ઉપયોગ નથી. વિખ્યાત ઉદ્યોગપતિ અને કંપનીઓ ટેકઓવર કરનારા વોરન બફેટ પણ કહે છે - "બે નિયમો છે. પહેલો નિયમ  કે પૈસા ક્યારેય ગુમાવો નહીં અને બીજો નિયમ કે પહેલો નિયમ હંમેશા યાદ રાખો!" જૂના જમાનામાં ભારત માત્ર ગામડાંમાં વસતું ત્યારે પૈસો ગાડાના પૈડાં જેવડો મોટો હતો. જ્ઞાતિ આધારિત વ્યવસાયો હતા અને પૈસા વાપરવાના માર્ગ પણ મર્યાદિત હતાં. કોનો પૈસો ક્યાં વપરાય એના જવાબમાં એક જૂનો છંદ જાણીતો છેઃ
                બામણનો ભાણામાં ને વાણિયાનો પાણામાં,
                રજપૂતનો થાણામાં ને કણબીનો આણામાં,
                કોળીનો ગાણામાં ને ઘાંચીનો ઘાણામાં,
                બાવાનો જાણામાં ને ભીલનો દાણામાં
તે જમાનામાં નાગર અને અનાવિલ બ્રાહ્મણો સિવાયના બધાં બ્રાહ્મણો ગોરપદું કરતાં અને મરણ-પરણના પ્રસંગે યજમાન જે કાંઈ રોકડા આપે તે ઘરે આવીને ગોરાણીને આપી દે ને પછી હુકમ કરે કે 'આજે તો લાડુ, દાળ, ભાત,શાક અને વાલ બનાવો, જોડે ભજિયાં પણ તળજો'. મિજબાની જમવામાં બધાં પૈસા વપરાઈ જાય. હળવદના બ્રાહ્મણો લાડુ ઝાપટી જતાં અને તળાજાના બ્રાહ્મણો બોઘરણું ભરીને ઘી પી જતાં - માટે કીધું કે 'બામણનો ભાણામાં'. વાણિયા અને જૈનનો પૈસો પાણામાં એટલે કે પાકાં મકાનો, મંદિરોઢોરવાડાદવાખાનાનિશાળોધરમશાળા અને મોટી હવેલી બંધાવામાં વપરાતો. રજપૂતો નાની-મોટી લડાઈમાં હંમેશા ભાગીદાર હોવાથી પોલીસથાણા સાથેનો તેમનો વ્યવહાર વધી જતો અને લડાઈ પછીની પરિસ્થિતિ નિપટાવવામાં પૈસા ખર્ચાતાં. તે જમાનામાં કણબીઓની સ્થિતિ એવી હતી કે દીકરીનાં લગ્ન માટે કરિયાવરના પૈસા હોય એટલે સારું વરસ આવે ત્યારે દીકરીનું આણું વાળે. કોળીનો પૈસો ગાણામાં એટલે કે નાચ-ગાન અને ભજનમાં વપરાય - કોઈ પણ પ્રસંગ આવે એટલે કોળીને ત્યાં રાતે ભજન બેસે ને વહેલી સવાર સુધી ચાલે. ઘાંચીનો પૈસો ઘાણામાં - તેલઘાણીની સજાવટમાં, રખરખાવમાં અને બળદની માવજતમાં વપરાય. સાધુ-બાવા તો ચલતાં ભલા. તેઓ એક જગ્યાએ થોડા દિવસ રહે પછી બીજે જાય, ત્યાં થોડા દિવસ રહે પછી ત્રીજે ઠેકાણે જાય. પ્રકારે જાણામાં નવી જગ્યાએ પડાવ નાખવાનો ખર્ચ થાય તેમાં જૂની જગ્યાએ મળેલા પૈસા વપરાઈ જાય. છેલ્લે, ભીલ (આદિવાસી)ના પૈસા દાણા જોવડાવવામાં જાય. સાજે-માંદે કે શુકન-અપશુકન માટે તેમનો ભૂવો દાણા જોઈને નિદાન કરે. પછી ભૂવો કહે એવો ભોગ ધરાવવામાં બધાં પૈસા વપરાઈ જાય.
           તો બધી જૂની વાતો થઈ. આજે પૈસાદાર માણસની અંદરની ગરીબીનો ચળકાટ વધતો જાય છે. યંત્રોની કૃપા અને અવકૃપાને કારણે પેઢી-દર-પેઢી લોકોનો બેસવાનો સમય વધતો જાય છે. બધું ઘર-બેઠાં મળતું રહે છે. તળાવ પર પાણી ભરવા કે કપડાં ધોવા માટે જવાનું રહ્યું નથી. નદીનું પાણી હવે નળ દ્વારા ઘરના બાથરૂમમાં પહોંચી ગયું છે. ચાલવાનું ઓછું અને સ્કૂટરવાનું વધી ગયું છે. સોફામાં બેઠેલો છાણનો પોદળો કલાકો સુધી રિમોટ કંટ્રોલનાં બટન દબાવીને એક ચૅનલ પરથી બીજી ચૅનલ પર કૂદતો રહે છે. ડાયાબિટીઝ મફતમાં નથી મળતો. તેને આમંત્રણ મોકલવામાં આવે  પછી આવે છે. કોઈ ખેતમજૂર કે લારી ખેંચનારને ક્યારેય ડાયાબિટીઝ થયેલો જાણ્યો છે? તે છતાં નાણાંની માયા આજે કોને નથી? તિરુપતી મંદિરમાં પહેલાં પ્રસાદ મફત મળતો, હવે પ્રસાદના લાડુ પણ પૈસા વગર નથી મળતાં. પૈસા વગર જીવાતું નથી તો ઠીક પણ પૈસા વગર મરાતું પણ નથી. સ્મશાનમાં પણ પ્રથમ પૈસા જમા કરાવવા પડે છે.
         વેદ-પુરાણો કહે છે કે ભગવાન વિષ્ણુ દુનિયાનું સંચાલન કરે છે. પ્રશ્ન છે કે તેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાંથી શું બીજા કોઈ દુનિયાનું ગાડું ગબડાવી શકે એમ નહોતા? તો પછી દુનિયા ચલાવવાની જવાબદારી વિષ્ણુ ભગવાન સિવાય અન્ય કોઈને માથે કેમ આવી? આવું એટલા માટે કે વિષ્ણુ લક્ષ્મીજીના સ્વામી છે. પણ લક્ષ્મીજીના સ્વામી હોય તોય શાંતિથી સૂઈ શકે કારણ પથારી શેષનાગની એટલે દિવસ-રાત સળવળ્યા કરે. રાવણ પાસે સોનાની લંકા હતી, સૂર્ય-ચંદ્ર એને ઢોલિયે બંધાયેલા હતા. અઢળક સંપત્તિ હતી પણ સંસ્કારના નામે મીંડુ હતું. આમ જેની પાસે ખાલી પૈસો હશે એને શાંતિ નહી હોય. સંપત્તિ સાથે સંસ્કાર હોવા પણ જરૂરી છે